r/Gujarati

Image 1 — ઇજિપ્તના પિરામિડના યુગ પહેલાં કચ્છમાં ૩૦૦ કિલોના પથ્થરો ૭ કિમી દૂરથી લાવીને બનાવવામાં આવેલું રહસ્યમય કબ્રસ્તાન: જ્યાં કબરો છે, પણ મૃતદેહ નથી
Image 2 — ઇજિપ્તના પિરામિડના યુગ પહેલાં કચ્છમાં ૩૦૦ કિલોના પથ્થરો ૭ કિમી દૂરથી લાવીને બનાવવામાં આવેલું રહસ્યમય કબ્રસ્તાન: જ્યાં કબરો છે, પણ મૃતદેહ નથી
Image 3 — ઇજિપ્તના પિરામિડના યુગ પહેલાં કચ્છમાં ૩૦૦ કિલોના પથ્થરો ૭ કિમી દૂરથી લાવીને બનાવવામાં આવેલું રહસ્યમય કબ્રસ્તાન: જ્યાં કબરો છે, પણ મૃતદેહ નથી
Image 4 — ઇજિપ્તના પિરામિડના યુગ પહેલાં કચ્છમાં ૩૦૦ કિલોના પથ્થરો ૭ કિમી દૂરથી લાવીને બનાવવામાં આવેલું રહસ્યમય કબ્રસ્તાન: જ્યાં કબરો છે, પણ મૃતદેહ નથી

ઇજિપ્તના પિરામિડના યુગ પહેલાં કચ્છમાં ૩૦૦ કિલોના પથ્થરો ૭ કિમી દૂરથી લાવીને બનાવવામાં આવેલું રહસ્યમય કબ્રસ્તાન: જ્યાં કબરો છે, પણ મૃતદેહ નથી

કચ્છમાં આશરે પાંચ હજાર વર્ષ પહેલાં લોકો એક ખાસ પ્રકારની કબરો બનાવતા હતા.

કબર માટે જમીનમાં મોટો ખાડો ખોદવામાં આવતો. તેમાં ૧૭થી ૩૪ જેટલા માટીના વાસણો ગોઠવવામાં આવતા.

પછી આ બધું લગભગ ૩૦૦ કિલોના વિશાળ પથ્થરથી ઢાંકી દેવામાં આવતું.

અને સૌથી વિચિત્ર વાત?

આ કબરોમાં મૃતદેહ જ નહોતો.

ભુજ નજીક ધાનેતી ગામ પાસે રામાયા વાંગો ઝરણાના કિનારે પુરાતત્વવિદોને પ્રારંભિક હડપ્પન કાળનું એક વિશાળ કબ્રસ્તાન મળ્યું છે, જેને રોઝીમાતાનો શરણ તરીકે ઓળખવામાં આવે છે.

આશરે સાડા ચાર હેક્ટરમાં ફેલાયેલી આ જગ્યાએ કુલ ૪૩ પથ્થરના કબર-વર્તુળો મળી આવ્યા છે.

પણ આ સામાન્ય દફનવિધિ નહોતી.

કેટલીક કબરોમાં કોઈ માનવ હાડકાં કે મૃતદેહ મળ્યા નથી. તેના બદલે, જમીનની અંદર આશરે સવા મીટર ઊંડો અને ચાર મીટર લાંબો લંબગોળ ખાડો બનાવવામાં આવતો હતો.

આ ખાડાના તળિયે મૃત વ્યક્તિની યાદમાં ૧૭થી ૩૪ જેટલા માટીના વાસણો ખૂબ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવતા હતા.

તેમાં થાળીઓ, વાટકા, કુંડા, સાંકડા મોંવાળી સુરાહીઓ અને અત્યંત દુર્લભ ગ્રે-વેર બીકર જેવા વાસણોનો સમાવેશ થતો હતો.

આ આખા ખાડાને આશરે પોણા બે મીટર લાંબા અને સરેરાશ ૩૦૦ કિલો વજનના પથ્થરના વિશાળ સપાટ સ્લેબથી ઢાંકવામાં આવતો હતો.

પણ આટલો મોટો પથ્થર ત્યાં કુદરતી રીતે મળતો નહોતો.

પુરાતત્વીય સંશોધન પ્રમાણે ધાનેતીની આસપાસ લગભગ ૭ કિલોમીટરના વિસ્તારમાં આવા પથ્થરોના કુદરતી સ્ત્રોત નહોતા.

એટલે આ લોકો પથ્થર મેળવવા માટે આશરે ૭ કિલોમીટર દૂર આવેલી સરવરા ટેકરીઓ તરફ જતા અને ત્યાંથી પથ્થરો કાપીને ધાનેતી સુધી લાવતા હતા.

જરા કલ્પના કરો.

૫,૦૦૦ વર્ષ પહેલાં.

૩૦૦ કિલોનો પથ્થર.

૭ કિલોમીટરનું અંતર.

અને આ કામ એક નહીં, પરંતુ ડઝનેક કબરો માટે.

પથ્થર ગોઠવ્યા પછી તેની આસપાસ લેટરાઇટના મોટા બ્લોક્સથી બે ગોળાકાર વાડ બનાવવામાં આવતી હતી. બંને વાડ વચ્ચે માટી અને નાના પથ્થરો ભરવામાં આવતા અને ઉપર કેર્ન (Cairn) એટલે કે પથ્થરોનો ગુંબજ જેવો ઢગલો બનાવવામાં આવતો હતો.

આ સમગ્ર રચના દૂરથી જોવામાં આવે તો એક વિશાળ પથ્થરનું સ્મારક જેવી દેખાતી હશે.

અને આ બધું ઇજિપ્તના પિરામિડોના જાણીતા યુગની આસપાસના સમય પહેલાં અથવા તેના પ્રારંભિક સમયગાળામાં, કચ્છના આ પ્રદેશમાં થઈ રહ્યું હતું.

પરંતુ મારા માટે અહીં સૌથી રસપ્રદ સવાલ ૩૦૦ કિલોના પથ્થરનો નથી.

જો કબરમાં મૃતદેહ જ નહોતો, તો આટલી મહેનત કરીને કબર બનાવવામાં આવતી શા માટે?

શું આ કોઈ વ્યક્તિની સ્મૃતિ માટેનું પ્રતીકાત્મક સ્મારક હતું?

શું મૃત્યુ પામેલા વ્યક્તિને યાદ કરવાની કોઈ એવી રીત હતી જેમાં શરીર કરતાં તેની સાથે જોડાયેલી વસ્તુઓ વધુ મહત્વની હતી?

અને ૧૭થી ૩૪ વાસણો શા માટે?

આપણે આ પ્રશ્નોના બધા જવાબો કદાચ ક્યારેય જાણી નહીં શકીએ.

પણ ધાનેતીના આ પથ્થરના વર્તુળો એક વાત ચોક્કસ બતાવે છે: આશરે પાંચ હજાર વર્ષ પહેલાં કચ્છમાં રહેતા લોકોને મૃતકોની સ્મૃતિ અને દફનવિધિ માટેની પોતાની વિશિષ્ટ પરંપરા હતી અને તેને સાકાર કરવા માટે તેઓ દૂરથી ભારે પથ્થરો લાવીને વિશાળ રચનાઓ ઊભી કરતા હતા.

મને તો સૌથી અદ્ભુત વાત એ લાગે છે કે આટલી મહેનત જે વ્યક્તિ માટે કરવામાં આવી, તેની કબરની અંદર તેનું શરીર જ નહોતું.

જો શરીર કબર માં દફનાવવામાં ન આવતું, તો શરીર નું શું કરવામાં આવતું?

u/BaronsofDundee — 1 day ago

૪૫૦૦ વર્ષ પહેલાં ગુજરાતમાં એકબીજાની આસપાસ વસતી બે તદ્દન અલગ સંસ્કૃતિઓ વચ્ચે કેવો સંબંધ હતો?

જ્યારે પણ કોઈ મોટી industry આપણા શહેરમાં આવે છે, ત્યારે એક ડર તરત ઊભો થાય છે, હવે સ્થાનિક નાના વેપારીઓ અને પરંપરાગત ધંધાઓનું શું થશે?

પણ લગભગ ૪૫૦૦ વર્ષ પહેલાં ગુજરાતમાં પરિસ્થિતિ કંઈક આવી જ હતી.

સિંધુ-સરસ્વતી સભ્યતા ના ધોળાવીરા, લોથલ, બગસરા, શિકારપુર જેવા શહેરો અને વસાહતો ઊભી થઈ. પાકી ઈંટો, પથ્થરની દીવાલો, કારખાનાં અને લાંબા અંતરના વેપાર સાથે એક નવી શહેરી દુનિયા ઊભી થઈ.

તો પહેલે થી જ અહીં વસતી માલધારી અને શિકારી સંસ્કૃતિ નું શું થયું?

પુરાતત્ત્વીય પુરાવાઓ એક રસપ્રદ ચિત્ર આપે છે.

બગસરા, શિકારપુર અને નાગવાડા જેવા હડપ્પન સ્થળોમાં હડપ્પન વાસણોની સાથે સ્થાનિક આનર્ત સંસ્કૃતિનાં વાસણો પણ મોટા પ્રમાણમાં મળ્યાં છે.

એટલે કિલ્લાની અંદર માત્ર હડપ્પન લોકો જ રહેતા હતા એવું નથી. સ્થાનિક લોકો પણ આ અર્થતંત્રનો ભાગ હતા અને પોતાની પરંપરા સાથે અસ્તિત્વમાં હતા.

અને આ માત્ર વેપારની વાત નહોતી.

સ્થાનિક માલધારીઓ માટે હડપ્પન શહેરો ઉપયોગી હતા અને હડપ્પન શહેરો માટે માલધારીઓ.

માલધારીઓ દૂધ, ઘી, માંસ, ઊન અને જંગલ તથા દરિયાકાંઠામાંથી મળતો કાચો માલ પૂરો પાડતા. કચ્છના દરિયાકાંઠા અને અખાતમાંથી મળતા કીમતી શંખ, ખાસ કરીને Turbinella pyrum, બગસરા અને શિકારપુર જેવા હડપ્પન કેન્દ્રોના કારખાનાં સુધી પહોંચતા.

બદલામાં તેમને તાંબાનાં ઓજારો, અનાજ અને અન્ય શહેરી ઉત્પાદનો મળતા.

અને અહીં એક બહુ રસપ્રદ વાત આવે છે.

વૈજ્ઞાનિકોએ ગાયોના દાંતના stable carbon અને oxygen isotope નો અભ્યાસ કર્યો. એમાંથી જાણવા મળ્યું કે હડપ્પન વસાહતોમાં રહેલા પશુઓ અને બહારના આનર્ત પશુપાલકોનાં પશુઓનો ખોરાક અલગ હતો.

અર્થાત્ બંને જૂથો એકબીજાની નજીક રહેતા હોવા છતાં પશુપાલનની પોતાની આગવી પદ્ધતિ જાળવી રહ્યા હતા.

આ વાતને સમજવા માટે આજે કચ્છના બન્ની વિસ્તારના માલધારીઓને જુઓ.

ચોમાસા પછી પાણી અને ચરિયાણની ઉપલબ્ધતા પ્રમાણે તેઓ પોતાના પશુધન સાથે સ્થળાંતર કરે છે. ઉત્તર ગુજરાતના પ્રાચીન કુદરતી રેતીના ટેકરાઓ પણ ચોમાસા પછી લીલાછમ ઘાસના મેદાનો બનતા, જ્યાં સ્થાનિક પશુપાલકો seasonal camps નાખતા.

સંશોધન સૂચવે છે કે ૪૫૦૦ વર્ષ પહેલાં આનર્ત માલધારીઓ પણ સરસ્વતી અને રૂપેણ નદીની આસપાસ આ પ્રકારની ઋતુઆધારિત ગતિશીલ પશુપાલન પદ્ધતિ વાપરતા હતા.

એટલે બન્નીનો આ દૃશ્ય માત્ર આજનો દૃશ્ય નથી તેની પાછળ અત્યંત જૂની પશુપાલન પરંપરાની સંભાવિત કડી છે.

અને આ seasonal camps માત્ર ચરિયાણ માટેનાં સ્થળો નહોતાં. નદીકાંઠાના આ વિસ્તારો શહેરોના વેપારીઓ અને પશુપાલકો વચ્ચેના વિનિમયના મહત્વના સંપર્કબિંદુ બનતા હતા.

એક તરફ શહેર.

બીજી તરફ વિચરતું પશુપાલન.

વચ્ચે માલ, માણસો અને જરૂરિયાતોનું સતત આદાન-પ્રદાન.

લાંબા સમય સુધી હડપ્પન લોકો ગુજરાતમાં બહારથી આવીને સ્થાનિક લોકોને દબાવીને વસ્યા હતા એવી colonization ની કલ્પના પણ કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતનાં વિવિધ સ્થળોએથી મળતા પુરાવાઓ આ સરળ 'આક્રમણકારો આવ્યા અને સ્થાનિકોને હટાવી દીધા' વાળી કહાની કરતાં ઘણું વધુ જટિલ ચિત્ર બતાવે છે.

અહીં આપણને અલગ જીવનશૈલી ધરાવતા સમુદાયો વચ્ચેનું coexistence જોવા મળે છે.

શહેરવાળાઓને પશુપાલકોની જરૂર હતી.

પશુપાલકોને શહેરનાં ઉત્પાદનોની.

બંને પોતપોતાની દુનિયા જાળવીને પણ એકબીજા પર નિર્ભર હતા.

મને આ વાત ખાસ ગમી,

કારણ કે ૪૫૦૦ વર્ષ પહેલાં અહીં શહેરો પણ હતા, વિચરતા માલધારીઓ પણ હતા, શિકારીઓ પણ હતા, કારીગરો પણ હતા અને વેપારીઓ પણ. અને કદાચ ગુજરાતની સૌથી જૂની ઓળખ જ આ હતી, અનેકતામાં એકતા.

આજે બન્નીના માલધારીઓને જોતા આપણને ૪૫૦૦ વર્ષ જૂની એક સતત ચાલતી આવન-જાવનની છબી દેખાય.

અને કદાચ અહીંથી એક મોટો સવાલ ઊભો થાય છે: શું આપણે પ્રાચીન સમાજોને બહુ જલ્દી “આક્રમણકારો” અને “સ્થાનિકો” જેવી બે બાજુમાં વહેંચી નાખીએ છીએ? ગુજરાતના આ પુરાવા તો કંઈક અલગ જ બતાવે છે, લોકો અલગ રીતે જીવતા હતા, પણ તેમની દુનિયા એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી હતી.

u/BaronsofDundee — 2 days ago

translation: gujarati > english old handwritten postcard

I have this 1925 postcard from India with a handwritten message in Gujarati; I was wondering if anyone could help me decipher its content. Some people who understand Gujarati have already told me the handwriting is difficult to read, but let's see if anyone can manage it or at least extract as much information as possible. Thanks.

u/FitDrink7047 — 3 days ago

ધોળાવીરા અને લોથલ પહેલા નું ગુજરાત: ૫,૦૦૦ વર્ષ થી પણ વધારે જૂની એક અલગજ સંસ્કૃતિ

આપણે પ્રાચીન ગુજરાતની વાત કરીએ એટલે તરત ધોળાવીરા અને લોથલ યાદ આવે, પાકી ઈંટો, કિલ્લાબંધી, રસ્તાઓ અને સુવ્યવસ્થિત નગરો.

પણ આ ભવ્ય શહેરો અસ્તિત્વમાં આવ્યા એ પહેલાં, આજથી લગભગ સાડા પાંચ હજાર વર્ષ પહેલાં ઉત્તર ગુજરાતમાં પણ લોકો રહેતા હતા.

તેમનું જીવન કેવું હતું?

આ વાત આપણને પાટણ જિલ્લાના સમી તાલુકા પાસે આવેલા લોતેશ્વરમાંથી મળે છે.

અહીં પ્રાચીન રેતીના ટેકરાઓ પર થયેલા ખોદકામમાંથી એક અલગ પ્રાદેશિક સંસ્કૃતિના પુરાવા મળ્યા. તેનું નામ આનર્ત સંસ્કૃતિ રાખવામાં આવ્યું, ઉત્તર ગુજરાતના આ પ્રાચીન પ્રદેશના નામ પરથી. આનર્ત સંસ્કૃતિનો સમયગાળો આશરે ઈ.સ.પૂર્વે ૩૬૦૦થી ૩૦૦૦નો છે.

એટલે હડપ્પન શહેરોની ભવ્ય દુનિયા ઊભી થઈ એ પહેલાં જ ઉત્તર ગુજરાતમાં લોકો પોતાની અલગ જીવનશૈલી વિકસાવી ચૂક્યા હતા.

અહીંનાં ઘરો સાદાં હતાં, પણ માટીનાં વાસણો નહીં.

લોતેશ્વરના લોકો ખારી નદીના કિનારે આવેલા રેતીના ટેકરાઓ પર રહેતા હતા. તેમનાં રહેઠાણો ઘાસ, વાંસ અને કાદવના લીંપણથી બનેલાં કાચાં માળખાં હતાં. પાકાં મકાનો કે કિલ્લેબંધી અહીં નહોતી.

પણ તેમની માટીકામની કળા જોઈને વાત બદલાઈ જાય છે.

સ્થાનિક માટીમાં જાડી રેતી ભેળવીને તેઓ લાલ રંગનાં ખાસ પ્રકારનાં વાસણો બનાવતા હતા, જેને પુરાતત્વવિદો Gritty Red Ware કહે છે.

આ વાસણો પર કાળા, લાલ અને સફેદ રંગોથી મોજા જેવી લયબદ્ધ રેખાઓ અને ભૌમિતિક આકૃતિઓ દોરવામાં આવતી.

એટલે પાંચ હજાર વર્ષ પહેલાંના આ સાદા પશુપાલક સમાજ પાસે પણ પોતાની આગવી કલાત્મક શૈલી હતી. અને તેમનું જીવન પશુઓની આસપાસ ફરતું હતું.

લોતેશ્વરમાંથી મોટી સંખ્યામાં પ્રાણીઓનાં હાડકાં મળ્યાં છે. તેમના અભ્યાસ પરથી ખબર પડે છે કે અહીંના લોકો ગાય, ભેંસ અને ઘેટાં-બકરાં પાળતા હતા.

પણ અહીં એક વધુ રસપ્રદ વાત છે.

સામાન્ય રીતે માનવ ઇતિહાસના શરૂઆતના તબક્કામાં લોકો પ્રાણીઓનો ઉપયોગ મુખ્યત્વે માંસ માટે કરતા હતા. પરંતુ લોતેશ્વરમાંથી મળેલા ગાય-ભેંસના હાડકાં પર થયેલા અભ્યાસો સૂચવે છે કે અહીંના લોકો ગાયોને માત્ર માંસ માટે નહીં, પરંતુ દૂધ અને ડેરી ઉત્પાદનો મેળવવા માટે પણ મોટા પાયે પાળતા હતા.

આ વાત ખાસ છે. કારણ કે ગુજરાતની પશુપાલન અને ડેરી પરંપરા આપણે ઘણી વાર આધુનિક સમયથી જોવાનું શરૂ કરીએ છીએ, અમૂલ જેવા વિશાળ ડેરી ઉદ્યોગ સુધી.

લોતેશ્વરના પુરાવા બતાવે છે કે ગુજરાતની ધરતી પર પશુધન અને દૂધ આધારિત જીવનની પરંપરા કેટલી જૂની છે.

આ સાથે તેઓ સ્થાનિક સૂકી આબોહવામાં ઉગી શકે તેવા નાના ધાન્ય અને કઠોળ પણ ઉગાડતા હતા.

ચોમાસું પૂરું થયા પછી ઘાસચારા અને પાણીની ઉપલબ્ધતા પ્રમાણે પશુઓ સાથે સ્થળાંતર કરતું જીવન હતું.

એટલે તેમની દુનિયા ધોળાવીરાના પાકા રસ્તાઓ અને ઈંટોની ઇમારતો કરતાં ઘણી અલગ હતી.

અહીં રેતીના ટેકરા હતા, કાચાં રહેઠાણો હતાં, પશુઓ હતાં, ઋતુ પ્રમાણે બદલાતું જીવન હતું અને માટીનાં વાસણો પર દોરાતી પોતાની આગવી કળા હતી.

ધોળાવીરા આપણને બતાવે છે કે પ્રાચીન ગુજરાતનાં શહેરો કેટલાં વિકસિત હતાં. લોતેશ્વર આપણને યાદ અપાવે છે કે એ શહેરો પહેલાં પણ અહીં એક આખી દુનિયા હતી.

જીગ્નાસુઓ માટે GPS coordinates: 23°36′00″ N, 71°50′20″ E, સમી તાલુકો, પાટણ જિલ્લો, ગુજરાત.

આજે જ્યાં સમી-હારીજનો પ્રદેશ છે, ત્યાં લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં આપણા જેવા જ માણસો પોતાની અલગ દુનિયા બનાવીને જીવતા હતા, પશુઓ ઉછેરતા, દૂધ મેળવતા, અનાજ ઉગાડતા અને સુંદર વાસણો બનાવતા.

u/BaronsofDundee — 4 days ago

ઇન્દુલાલ ગાંધીનું “આંધળી માનો કાગળ” કાવ્ય....

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,

પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,

ગગો એનો મુંબઇ કામે;

ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ

કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !

સમાચાર સાંભળી તારા,

રોવું મારે કેટલા દ્હાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,

દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,

નિત નવાં લૂગડાં પ્હેરે

પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,

દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !

કાયા તારી રાખજે રૂડી,

ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,

જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,

તારે પકવાનનું ભાણું,

મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,

આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,

તારે ગામ વીજળીદીવા,

મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર

એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.

હવે નથી જીવવા આરો,

આવ્યો ભીખ માગવા વારો.... 😭😭😭

reddit.com
u/VladimirPutin1995 — 4 days ago

Culture and traditions

Can anyone educate me on modern (2000s) gujarati households. I am writing a book and one of my leads is a gujarati so I need some inputs on how actually a Gujarati household from a small town in Gujarat (North Gujarat to be specific) usually looks and works like. Thank you in advance

reddit.com
u/hyperventilating_200 — 4 days ago

તો માણસ આ દુનિયામાં શું ન કરી શકે?

એક વાર કામથી રાજકોટ ગયો હતો. Main highway પર મેં એક ભાઈને દંડવત કરતા કરતા જતા જોયા.

સાથે બીજા બે ભાઈ હતા. એ બંને આગળ ચાદર પાથરતા જાય અને આ ભાઈ એના પર દંડવત કરતા કરતા આગળ વધતા જાય.

બપોરનો સમય હતો. ભર તડકો.

એવો તડકો કે AC કારમાં બેઠા બેઠા પાણીની bottle લેવા પણ બહાર નીકળવાનું મન ન થાય.

મારાથી રહેવાયું નહીં. ગાડી ઊભી રાખીને એ ભાઈ પાસે ગયો અને પૂછ્યું,

“ભાઈ, આ તમે શું કરો છો?”

ભાઈ હસતા હસતા બોલ્યા,

“મેં સંકલ્પ લીધો છે. દંડવત કરતા કરતા ચોટીલા માતાજીનાં દર્શન કરવા જવાનો.”

ગુજરાતમાં લોકો આવી માનતા રાખે છે એ વિશે ઘણું સાંભળ્યું હતું, પણ મારી આંખે પહેલી વાર જોઈ રહ્યો હતો.

એ ભાઈને જોઈને એક વિચાર આવ્યો.

માણસ પાસે આવું મક્કમ મનોબળ હોય, દિશા સાચી હોય અને રસ્તામાં સાથ આપવા માટે આવા એક-બે ભાઈ હોય… તો માણસ આ દુનિયામાં શું ન કરી શકે?

reddit.com
u/BaronsofDundee — 4 days ago

Halo guys

માફ કરશો મારી અંગ્રેજી માટે, પરંતુ હું ફિલ્મો અને ટેલિવિઝન માટે લેખક બનવા માગું છું. મને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ત્રણેય ભાષાઓ આવડે છે, પરંતુ મને મૂંઝવણ છે કે મેં લખવાનું અંગ્રેજીમાં શરૂ કરવું જોઈએ કે ગુજરાતીમાં.

મારા મૂળ ગુજરાતી છે અને હું ગુજરાતી બોલી શકું છું, પરંતુ હું ગુજરાતી બરાબર વાંચી કે લખી શકતો નથી. બીજી તરફ, ભારતમાં રહીને પણ હું અંગ્રેજીમાં સંપૂર્ણ રીતે સ્ક્રીપ્ટ લખી શકતો નથી અને ન તો મારે હિન્દી સિનેમા માટે કામ કરવું છે. મારે ગુજરાતી સિનેમા માટે લખવું છે.

જ્યારે હું અંગ્રેજીમાં લખું છું — અને મેં કેટલીક સ્ક્રીપ્ટ પણ અંગ્રેજીમાં લખી છે — ત્યારે મને વાર્તાની એ લાગણી અથવા ભાવના આવતી નથી જે હું ઈચ્છું છું. મને લાગે છે કે મારી વાર્તાની સાચી લાગણી અંગ્રેજીમાં વ્યક્ત થતી નથી.

તો મારી સમસ્યા એ છે કે હું ગુજરાતીમાં કેવી રીતે લખવાનું શરૂ કરું? અથવા ઓછામાં ઓછું ગુજરાતી સિનેમા માટે સ્ક્રીપ્ટ કેવી રીતે લખવાનું શરૂ કરું?

મારે આ બાબતમાં કેવી રીતે આગળ વધવું જોઈએ અને મારી લેખનક્ષમતા કેવી રીતે સુધારી શકું? કૃપા કરીને મને સૂચન આપશો.

આભાર. (use chatgpt for gujarati)

  • original text

make this text in gujarati sorry for english you but i want to become writer for films and television and i knew english , gujarati and hindi but i confused how i start writing english or guj ? my roots from gujarati but i spoke it but can't writer or read proparly and next thing is in india i can't wrote script in english at all nor i want to work for hindi cinema i want for gujarati but when i writing in english (i write some screenplays in ) but not come feeling of story in english so issue is how to writer in gujarati or at leash for Gujarati cinemas so please give suggest on how it going to better thank you

reddit.com
u/Any_Budget_162 — 5 days ago
▲ 176 r/Gujarati+10 crossposts

An small request to everyone here please help him finding him

If anybody saw him in your area please contact me, appreciation will be given

u/Prudent-Operation658 — 8 days ago

Unpacking the roots of "ગુજરાતી food is sweet" stereotype.

ગુજરાતી એટલે દાળમાં ખાંડ નાખે, શાકમાં ગોળ નાખે અને આખું ભોજન મીઠું હોય, બહારના લોકોમાં આ perception એટલું strong છે કે જાણે આપણે જમવા નહીં, મીઠાઈ ખાવા બેસતા હોઈએ.

પણ ગુજરાતી રસોઈને sweet food કહી દેવી એ oversimplification છે.

શરૂઆત કરીએ આ stereotype ના મૂળ થી. આપણી પરંપરાગત દાળનું ઉદાહરણ લો.

ગુજરાત ટૂરિઝમ પોતે ગુજરાતી દાળને spicy, sweet અને sour એટલે કે ખાટી-મીઠી અને તીખા સ્વાદવાળી દાળ તરીકે વર્ણવે છે. તેમાં ગોળ અને કોકમ જેવા ઘટકો સાથે મરચાં અને બીજા મસાલાનો ઉપયોગ થાય છે. અને તીખા, ખાટા અને ગળ્યા સ્વાદ નું perfect balance જ best Gujarati દાળ નું gold standard છે. જેમના થી આ બેલેન્સ નથી બનતું તેમની દાળ બગડી ગણાય છે. અને કહે છે ને કે:

જેની દાળ બગડી, તેનો દિવસ બગડ્યો.

એટલે અહીં ગળપણ કોઈ standalone flavour નથી. એ ખાટા, ખારા અને તીખા સ્વાદ સાથે balance માં આવે છે.

મતલબ, ગુજરાતી દાળ મીઠી દાળ નથી. એ ખાટી-મીઠી-તીખી દાળ છે.

અને અહીં એક નોંધવા જેવી વાત છે, મીઠાશ અને તીખાશનું combination ગુજરાતી રસોઈની કોઈ અનોખી શોધ નથી. ભારત ના મોટા ભાગ ના રાજ્યો માં ક્યાંક ને ક્યાંક આ combinations જોવા મળે છે.

ગોવાની જાણીતી pork curry Vindaloo નું મૂળ પોર્ટુગીઝ વાનગી carne de vinha d’alhos માં છે, લસણ અને wine-vinegar માં પકાવેલું માંસ. ગોવામાં આવ્યા પછી તેમાં સ્થાનિક મસાલાઓ અને સ્થાનિક cooking traditions ઉમેરાતાં વાનગીનું સ્વરૂપ બદલાયું. આજે Goan vindaloo તેની ખાટી-મીઠી, મસાલેદાર અને તીખી flavour profile માટે જાણીતી છે.

એટલે કોઈ માંસાહારી વાનગીમાં ખાટાશ સાથે મીઠાશ કે બીજી contrasting flavour હોય તો એ કંઈ ગુજરાતી trait તો નથી. ભારતીય રસોઈમાં આવા sweet-sour-spicy combinations અનેક જગ્યાએ જોવા મળે છે.

અવધ એટલે કે લખનૌની નવાબી રસોઈમાં પણ તેનું એક રસપ્રદ ઉદાહરણ જોવા મળે છે.

મુતન્હન (Mutanhan) જેવી માંસ અને ચોખાની વાનગીઓમાં માંસ, ચોખા અને માખણ સાથે અનાનસ તથા સૂકો મેવો ઉમેરવાની પરંપરાનો ઉલ્લેખ મળે છે. તીખા અને મસાલેદાર માંસ સાથે ફળની મીઠાશ અને સૂકા મેવાનો flavour આ પણ એ જ basic culinary idea બતાવે છે: મીઠું અને તીખું એકબીજાના વિરોધી નહીં, complement પણ બની શકે.

ઉત્તર ભારતની, ખાસ કરીને પંજાબી શાક માં અમુક શાક એવા પણ મળી આવે છે કે ખાતા ખાતા એવું લાગે કે પેંડા ખાઈએ છીએ.

એટલે “મીઠાશનો ઉપયોગ થાય છે = cuisine sweet છે” આ logic જ ખોટું છે.

ગુજરાતી રસોઈમાં પણ વાત કંઈક આવી જ છે.

હવે અહીં એક બીજી વાત સમજવી જરૂરી છે.

Gujarati food નામની એક જ uniform cuisine નથી.

કચ્છ, સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, દરેક વિસ્તારમાં પોતાના taste profile અને cooking style છે.

કાઠિયાવાડી ભોજનમાં લસણ, મરચાં અને મસાલાનો જે ધડાકો મળે છે એ ખાધા પછી પણ કોઈ તમને કહે કે Gujarati food એટલે sweet, તો એને એક plate લસણિયા બટાકા આપીને બેસાડી દેજો.

તો પછી આ stereotype આવ્યું ક્યાંથી?

અહીંથી મામલો રસપ્રદ બને છે.

બહારના લોકો restaurants માં જે Gujarati food ખાય છે અને ગુજરાતી પરિવારના ઘરે જે રોજનું ભોજન બને છે, બંને હંમેશાં એક જ વસ્તુ નથી.

ગુજરાતી થાળીનું restaurant version એક અલગ culinary tradition તરીકે વિકસેલ છે.

અને આમાં રાજસ્થાનથી આવેલા રસોઈયાઓનો પણ એક મોટો historical influence રહ્યો છે.

ગુજરાતમાં બહારથી આવેલા ઘણા રસોઈયાઓ, ખાસ કરીને રાજસ્થાન તરફથી આવેલા મહારાજો, રેસ્ટોરન્ટ અને ભોજનાલયોના રસોડાં સાથે જોડાયા. રાજસ્થાની રસોઈમાં પણ ગોળ અને મીઠાશનો ઉપયોગ થતો હોવાથી તેમની પોતાની regional cooking styleનો પ્રભાવ અહીંની restaurant cooking માં આવવો સ્વાભાવિક હતો.

આ માત્ર કલ્પના નથી કે ગુજરાતી અને રાજસ્થાની food traditions વચ્ચે overlap છે. આજેય ગુજરાતની કેટલીક restaurant traditions માં બંને cuisines નું સ્પષ્ટ મિશ્રણ જોવા મળે છે.

પરંતુ અહીં એક important distinction છે.

એવું નથી કે રાજસ્થાની રસોઈયાઓ આવ્યા અને તેમણે ગુજરાતી ભોજનને ગળ્યું બનાવી દીધું.

વાત એટલી સીધી નથી.

પણ restaurant kitchens માં કામ કરનારા અલગ-અલગ પ્રદેશોના રસોઈયાઓ, વેપાર અને સ્થળાંતર તથા શહેરોની restaurant culture એ મળીને જે Gujarati-thali style popular કરી, તેમાં આ પ્રકારના regional influences આવવા સ્વાભાવિક હતા.

અને પછી એક બીજું નોંધવા જેવું પરિબળ.

બહારનો માણસ જ્યારે ગુજરાત આવે છે, ત્યારે મોટાભાગે તેમને ગુજરાતી પરિવારના ઘરે ભોજન નથી મળતું. એને મળે છે restaurant ની Gujarati thali.

એ થાળીમાં દાળ, કઢી, શાક, ભાત, રોટલી, ફરસાણ, અથાણું, ચટણી, છાશ અને મીઠાઈ, એક સાથે ઘણા અલગ flavours હોય છે.

Restaurant ની થાળીનો હેતુ પણ રોજના ઘરનાં ભોજન જેવો નથી. એ એક complete dining experience છે, અલગ-અલગ વસ્તુઓ, અલગ textures અને અલગ flavours એક જ થાળીમાં. એક unique taste profile curate કરવી એ તેમની જરૂરિયાત છે.

વાત કરીએ ગુજરાતી ઘરો ની તો ઘરમાં picture ઘણું અલગ હોઈ શકે.

ઘરે આજે શાક હશે તો તેમાં ગોળ હશે કે નહીં એ પરિવારની recipe અને વિસ્તાર પર depend કરે છે. દાળ વધારે ખાટી હોઈ શકે, ઓછી મીઠી હોઈ શકે અથવા તીખી હોઈ શકે.

કોઈના ઘરે કાઠિયાવાડી style ચાલતો હોય, કોઈના ઘરે સુરતી, કોઈના ઘરે ઉત્તર ગુજરાતની રીત.

એટલે restaurant ની Gujarati thali ને આખા ગુજરાતના ઘરગથ્થુ ભોજનનું representative sample માનવું ભૂલ ભરેલું છે.

અને કદાચ આ જ કારણ છે કે બહારના માણસને Gujarati food વિશે સૌથી પહેલા જે stereotype મળે છે એ હોય છે:

ગુજરાતીઓ દરેક વસ્તુમાં ખાંડ નાખે છે.

જ્યારે ગુજરાતી ઘરમાં કોઈ પૂછે:

આજે શાક માં શું છે? તો જે મળે તેમાં ગોળ નાખી દઈશું એવો જવાબ નથી મળતો.

ગુજરાતી રસોઈમાં ગળપણ છે? ચોક્કસ છે, અને શા માટે ના હોય? પણ ગળપણ એ ગુજરાતી ભોજનનો આખો સ્વભાવ નથી.

આપણી રસોઈનો વધુ સાચો પરિચય કદાચ એ છે કે તેમાં ખાટું, મીઠું, તીખું, ગળ્યું અને કડવું, બધા સ્વાદને સાથે રમાડવાની પરંપરા છે.

Restaurant ની થાળી તેનું એક version છે. ગુજરાતીના ઘરની થાળી આખી બીજી story છે.

ઇન્ટરનેટ પર ગુજરાતી ભોજન ને sweet કે bland કહેવા વાળા strong opinion ના લોકો ને જ્યારે તમે પૂછો કે તમે ક્યાં અને શું ખાધું હતું? તો મોટા ભાગે તેઓ જવાબ આપવાનું avoid કરે છે. હવે કેમ આવું, એ તો રામ જાણે!

reddit.com
u/BaronsofDundee — 5 days ago

માઉન્ટ આબુ નો અગ્નિકુંડ અને યજ્ઞમાંથી નીકળેલા ચાર Power Ranger ની ઐતિહાસિક Puzzle

આ puzzle ના centre માં છે આપણો અર્બુદ પર્વત, એટલે કે આજનું માઉન્ટ આબુ. અને અહીંથી શરૂ થાય છે અગ્નિકુળ power rangers ની એક એવી કથા, જેમાં યજ્ઞ, રાક્ષસો, યોદ્ધા અને શક્તિશાળી રાજવંશો બધું જ છે.

પરંપરાગત ચારણ કથાઓ પ્રમાણે, એ વખતે અસુરો અને રાક્ષસો ઋષિ-મુનિઓના યજ્ઞોમાં સતત વિઘ્ન નાખતા હતા અને ધરતી પર અત્યાચાર વધી ગયો હતો.

ત્યારે ઋષિ વસિષ્ઠે અર્બુદ પર્વત પર એક વિશાળ યજ્ઞ કર્યો. યજ્ઞના અગ્નિકુંડમાંથી આસુરી શક્તિઓ સામે લડવા માટે યોદ્ધાઓ પ્રગટ થયા, જે આગળ જઈને ચાર રાજવંશો સાથે જોડાયા:

પ્રતિહાર, ચૌલુક્ય/સોલંકી, પરમાર અને ચાહમાન/ચૌહાણ. મતલબ, એક યજ્ઞમાંથી આખી warrior squad ઊભી થઈ ગઈ.

આ વંશો આગળ જતાં ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજકારણમાં ખૂબ જ મહત્વના બન્યા.

આ કથાનો સૌથી જાણીતો સાહિત્યિક ઉલ્લેખ પરંપરાગત રીતે ચંદ બરદાઈને આભારી પૃથ્વીરાજ રાસોમાં જોવા મળે છે. જોકે અહીં એક important disclaimer છે, પૃથ્વીરાજ રાસોને 12મી સદીનું contemporary historical record માની લેવું યોગ્ય નથી; તેનું હાલનું ઉપલબ્ધ લખાણ ઘણું પાછળનું છે અને તેમાં ઐતિહાસિક કથા સાથે લોકપરંપરા અને સાહિત્યિક ઉમેરાઓ પણ છે.

પણ અગ્નિકુળ ની કથા રાસોથી પણ જૂની છે.

૧૦મી સદીના અંતમાં પદ્મગુપ્તે લખેલા નવસાહસાંકચરિતમાં પરમાર વંશની અગ્નિમાંથી ઉત્પત્તિની કથા જોવા મળે છે. જોકે ત્યાં વાત ચારેય વંશોની નથી, પરમારની જ છે.

પછીના સાહિત્યમાં આ કથાનું વિસ્તરણ થયું અને પ્રતિહાર, ચૌલુક્ય, પરમાર અને ચાહમાન આ ચારેય વંશોને એકસાથે અગ્નિકુળ સાથે જોડવામાં આવ્યા.

હવે અહીંથી મામલો interesting બને છે.શું આ ખરેખર ઐતિહાસિક ઘટના હતી?

આ સવાલનો કોઈ એક universally accepted જવાબ નથી.

રાજપૂત વંશોના ઉદય અને તેમની સામાજિક ઓળખ વિશે ઇતિહાસકારોમાં લાંબી ચર્ચા રહી છે. આધુનિક સંશોધન રાજપૂતોને કોઈ એક જ જાતિ કે એક જ મૂળમાંથી અચાનક ઊભા થયેલા સમૂહ તરીકે જોવાને બદલે, શરૂઆતના મધ્યકાળ માં અલગ-અલગ સ્થાનિક અને અન્ય યોદ્ધા જૂથોના રાજકીય ઉદય અને તેમની નવી સામાજિક ઓળખની પ્રક્રિયા તરીકે જુએ છે.

અગ્નિકુળ ની આ કથાને પણ આ જ સંદર્ભમાં જોવામાં આવે છે.

કેટલાક જૂના અને ખાસ તો બ્રિટિશ ઇતિહાસકારોએ અગ્નિકુંડની કથાને એક પ્રકારની purification અથવા ક્ષત્રિય દરજ્જો મેળવવાની પ્રતીકાત્મક કથા તરીકે સમજાવી હતી. પરંતુ આને સાબિત થયેલી ઐતિહાસિક વિધિ માનવી યોગ્ય નથી. આ માત્ર રાજપૂત ઉત્પત્તિ અંગેના અનેક historical interpretations માંથી એક છે.

અને હવે આવે છે સૌથી interesting point.

આ ચારેય વંશની પોતાની પ્રારંભિક વંશાવળી પરંપરાઓમાં અગ્નિકુંડની વાત જોવા મળતી નથી.

ઉદાહરણ તરીકે, પ્રતિહાર પરંપરા પોતાને ભગવાન રામના ભાઈ લક્ષ્મણ સાથે જોડે છે.

ચૌલુક્યોની પોતાની અલગ ઉત્પત્તિ પરંપરા છે, જેમાં તેઓ બ્રહ્માના ચુલુક એટલે કે ખોબામાંથી ઉત્પન્ન થયેલા હોવાનું કહે છે.

એટલે એટલું તો ચોક્કસ કહી શકાય કે આ વંશોની શરૂઆતની વંશાવળી પરંપરાઓ અગ્નિકુળ ની પાછળથી પ્રચલિત થયેલી સામૂહિક કથાથી અલગ હતી.

અને કદાચ આ જ આખી વાતનો સૌથી interesting ભાગ છે.

એક બાજુ આપણને અર્બુદ પર્વતના અગ્નિકુંડ માં થી નીકળેલા ચાર power rangers ની ભવ્ય દંતકથા મળે છે.

બીજી બાજુ, શિલાલેખો અને જૂની વંશાવળી પરંપરાઓ એકદમ અલગ પ્રકારની વાર્તા કહે છે.

એટલે પ્રશ્ન માત્ર અગ્નિકુંડમાંથી ખરેખર ચાર યોદ્ધા નીકળ્યા હતા કે નહીં? એ નથી.

સાચી historical puzzle તો એ છે કે આ ચાર અલગ-અલગ રાજવંશો માટે એક common અગ્નિકુળ ની ઓળખ ઊભી કરવાની એવી તે શું સામાજિક કે રાજકીય જરૂરિયાત ઊભી થઈ હશે? અને આ common ઓળખ કયા સમય ગાળા માં ઊભી કરવામાં આવી હશે? તમારી શું theory છે?

u/BaronsofDundee — 6 days ago

50,000 વર્ષ પહેલાં પૂર્વ ગુજરાતમાં પણ વિકસેલી આત્મનિર્ભર સુપરબ્લેડ

સામાન્ય રીતે ઇતિહાસકારો એવું માનતા હતા કે ભારતમાં લાંબી અને અત્યંત તીક્ષ્ણ પથ્થરની બ્લેડ બનાવવાની ટેકનોલોજી બહારના દેશોમાંથી આપણી પાસે આવી હતી.

પણ પૂર્વ ગુજરાતની સુખી અને પાનમ નદીના ખીણ વિસ્તારોમાં કરવામાં આવેલા અદભુત સંશોધનમાં આ જૂની માન્યતા સામે એક મહત્વપૂર્ણ નવો પુરાવો મળ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના જોગપુરા અને પંચમહાલ-રતનમહાલ વિસ્તારમાં આવેલા ભુવેરા ગામ પાસેની પહાડીઓમાંથી વૈજ્ઞાનિકોને હજારોની સંખ્યામાં એવી અદભુત પથ્થરની તીક્ષ્ણ બ્લેડ અને ઓજારો મળી આવ્યા છે જે સ્થાનિક ટેકનિકથી બનાવવામાં આવ્યા હોવાનું સૂચવે છે.

જોગપુરામાં રહેતા તે સમયના માનવો પાસે વાપરવા માટે સામાન્ય મજબૂત પથ્થરો (Quartzite) ઉપલબ્ધ હતા, તેમ છતાં તેમણે પોતાના ખાસ હથિયારો માટે એક અત્યંત અણધાર્યા એવા કાચ જેવા ક્વાર્ટઝ પથ્થર (Vein quartz) ની પસંદગી કરી. આ સફેદ ક્વાર્ટઝ એવો કાચ જેવો અત્યંત કઠણ પથ્થર છે જેને ઘાટ આપવો કે તેમાંથી સપાટ બ્લેડ તોડવી એ ખૂબ જ કપરું અને જોખમી કામ છે કારણ કે તે પ્રહાર કરતા જ ગમે તેમ તૂટી જાય છે. પણ આપણા પ્રાગૈતિહાસિક પૂર્વજોએ આ મુશ્કેલ કાચ જેવા પથ્થરોમાંથી પણ આશરે ચાર સેન્ટીમીટર (4 cm) લાંબી, એકસરખી જાડાઈ ધરાવતી અને બંને બાજુથી કાચ જેવી તીક્ષ્ણ ધારવાળી બ્લેડ બનાવીને પોતાની અદભુત કારીગરી અને ટેકનિકનો પરિચય આપ્યો હતો.

આ બ્લેડને માત્ર સીધી હાથમાં પકડીને વાપરવાને બદલે તેને પ્રાણીઓના સ્નાયુઓની દોરી વડે હાડકાના કે લાકડાના હાથામાં ફીટ કરીને દાંતરડું કે હથિયાર (composite tools) બનાવવામાં આવતા હતા.

બીજી તરફ ભુવેરા ગામના માનવોએ ઉત્તમ ગુણવત્તાવાળા લીલાશ પડતા ક્વાર્ટઝાઇટ પથ્થર (Quartzite) નો ઉપયોગ કરીને તેનાથી પણ મોટી એટલે કે પાંચથી સાત સેન્ટીમીટર (5 to 7 cm) લાંબી વિશાળ બ્લેડ બનાવી હતી. વૈજ્ઞાનિકોએ જ્યારે આ બંને જગ્યાઓની પથ્થરની બ્લેડનું કમ્પ્યુટર દ્વારા ઝીણવટભરી તપાસ (Morphometric analysis) કરી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ બધી જ બ્લેડ એકદમ પ્રમાણભૂત અને એકસરખા કદ (Morphological standardization) માં બનેલી હતી, અને તેના કિનારાના ખૂણાઓ આશરે ૮૫ થી ૯૫ ડિગ્રી જેટલા એકદમ સમાંતર (Parallel margins) હતા જે દર્શાવે છે કે કાચ જેવા પથ્થરને છોલવા પર તેમનો અદભુત કાબૂ (Knapping control) હતો.

આ શોધ વિશ્વભરના પુરાતત્વ વિજ્ઞાનમાં એટલા માટે ક્રાંતિકારી માનવામાં આવે છે કારણ કે તે સૂચવે છે કે ગુજરાતના પ્રાગૈતિહાસિક માનવોએ આ કળા માટે કોઈ વિદેશી સંસ્કૃતિની નકલ કરવાને બદલે પોતાની જૂની મધ્ય પાષાણ યુગની પદ્ધતિઓ (Prepared core technology) માંથી જ ધીમે-ધીમે ઉત્ક્રાંતિ કરીને આ નવી સુપર-બ્લેડ બનાવવાની અનોખી સ્થાનિક ટેકનોલોજી વિકસાવી હોઈ શકે છે. આ પ્રકારના સ્થાનિક વિકાસને વિજ્ઞાનની ભાષામાં ઇન સિટુ (In situ) વિકાસ કહેવામાં આવે છે. આ તીક્ષ્ણ બ્લેડનો ઉપયોગ તેઓ કદાચ લાકડાના કે હાડકાના હાથા સાથે જોડીને અદભુત દાંતરડા, છરી અથવા શિકાર કરવા માટેના ભાલા બનાવવામાં કરતા હતા.

ટુંકમાં કહીએ તો પૂર્વ ગુજરાતના જોગપુરા અને ભુવેરામાંથી મળેલા પથ્થરોના હથિયારો સૂચવે છે કે ગુજરાતના પ્રાગૈતિહાસિક માનવોએ પચાસ હજાર વર્ષ પહેલાં જાતે જ કાચ જેવા કઠણ પથ્થરમાંથી અતિ તીક્ષ્ણ બ્લેડ બનાવવાની એક અદ્યતન અને આત્મનિર્ભર ટેકનિક વિકસાવી હતી. આ શોધ દર્શાવે છે કે પથ્થર છોલીને ઓજાર બનાવવાની આ અદભુત કળા કદાચ બહારથી સીધી આયાત થયેલી નહોતી, પરંતુ પૂર્વ ગુજરાતની પહાડીઓમાં જ સ્થાનિક રીતે વિકસેલી હતી.

શું તમારામાંથી કોઈ છોટાઉદેપુરના સુખી ડેમ વિસ્તારની અથવા પંચમહાલના રતનમહાલ રીંછ અભયારણ્ય નજીકના આ ભુવેરા કે જોગપુરા ગામની મુલાકાતે ગયું છે? આપણા વડવાઓની આ પચાસ હજાર વર્ષ જૂની આત્મનિર્ભર ટેકનિક અને તેમની અદભુત પથ્થર ટેકનોલોજી વિશે તમારું શું કહેવું છે?

આવનારી પોસ્ટ માં આપણે વાત કરીશું સિંધુ ઘાટી ની સભ્યતા વિકસી તે પહેલાં ના ગુજરાત વિશે.

u/BaronsofDundee — 7 days ago

આજથી સવા લાખ વર્ષ પહેલાં કચ્છમાં ચાલતું હથિયાર બનાવવાનું વર્કશોપ અને તેની સપ્લાઈચેન!

આજના સમયમાં કોઈ નવો વ્યવસાય શરૂ કરીએ તો કાચો માલ ક્યાંથી લાવવો, તેને કેવી રીતે વહન કરવો અને ક્યાં પ્રોસેસ કરવો તેનું આખું આયોજન કરીએ છીએ.

પણ કલ્પના કરો કે આજથી લગભગ ૧.૨૫ લાખ વર્ષ પહેલાં કચ્છમાં રહેતા પ્રાગૈતિહાસિક માનવો પણ પોતાના હથિયારો માટે ઉત્તમ કાચો માલ શોધીને તેને લગભગ ૧૨–૧૩ કિલોમીટર દૂરથી લાવતા હતા.

કચ્છના ભુજ નજીક ધાનેતી ગામ પાસે આવેલા રામાયા વાંગો નામના ચોમાસુ ઝરણાના કિનારે પુરાતત્વવિદોને પ્રાગૈતિહાસિક કાળના હથિયારોનો એક અદભુત સમૂહ મળ્યો છે. અહીંથી આશરે ૧૩૬ પથ્થરના હથિયારો મળી આવ્યા છે, જેને પુરાતત્વવિજ્ઞાનમાં Late Acheulian પરંપરા સાથે જોડવામાં આવે છે.

અહીંથી મોટી હાથકુહાડીઓ (handaxes), નાની દ્વિમુખી કુહાડીઓ (diminutive bifaces), scrapers અને ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા પથ્થરના ગર્ભ એટલે કે prepared cores મળી આવ્યા છે.

ખાસ વાત એ છે કે આમાંથી ઘણાં હથિયારો અત્યંત સારી અને લગભગ અપ્રયુક્ત સ્થિતિમાં મળ્યા છે. તેના આધારે સંશોધકોનું માનવું છે કે આ સ્થળ માત્ર રહેવા માટેનું સ્થળ નહોતું, પરંતુ હથિયારોના ઉત્પાદન માટેનું મહત્વપૂર્ણ સ્થળ અથવા પ્રાગૈતિહાસિક વર્કશોપ હોઈ શકે છે.

પણ અહીંથી વાત વધુ રસપ્રદ બને છે.

આ હથિયારો બનાવવા માટે વપરાયેલો વિશિષ્ટ siliceous sandstone ધાનેતીની આસપાસના લગભગ બે કિલોમીટરના વિસ્તારમાં કુદરતી રીતે મળતો નથી. તેનો નજીકનો જાણીતો સ્ત્રોત આશરે ૧૨–૧૩ કિલોમીટર દૂર પશ્ચિમમાં લાખંડ અને ચંદરૂઆની ટેકરીઓ પાસે હોવાનું સંશોધન સૂચવે છે.

એટલે લગભગ ૧.૨૫ લાખ વર્ષ પહેલાંના માનવોને પોતાની જરૂરિયાત માટે યોગ્ય પથ્થર મેળવવા માટે અહીંથી ત્યાં સુધી જવું પડતું હતું અને પછી તે કાચો માલ ધાનેતી સુધી લાવવો પડતો હતો.

આ આખી પ્રક્રિયાને પુરાતત્વ વિજ્ઞાનમાં Chaîne opératoire એટલે કે હથિયાર બનાવવાની સંપૂર્ણ “ઉત્પાદન શ્રેણી” તરીકે સમજવામાં આવે છે, કાચો માલ શોધવાથી લઈને તેને સ્થળ પર લાવવા, પથ્થરને ચોક્કસ પદ્ધતિથી તોડવા-છોલવા, તેનું આકાર ઘડતર કરવા અને અંતે ધારદાર હથિયાર તૈયાર કરવા સુધી.

અને અહીં વધુ એક અદભુત વસ્તુ મળી છે.

અહીંથી અશ્મિભૂત લાકડા (petrified wood)માંથી બનાવેલી એક સુંદર દ્વિમુખી કુહાડી પણ મળી આવી છે. એટલે કે આ માનવો માત્ર ઉપયોગી હથિયાર બનાવી શકતા હતા એટલું જ નહીં, પરંતુ ઉપલબ્ધ અલગ-અલગ પથ્થરોની ગુણવત્તા અને લક્ષણોને ઓળખીને તેનો કુશળતાપૂર્વક ઉપયોગ પણ કરતા હતા.

આ સ્થળની બીજી રસપ્રદ બાબત છે cleavers ની અછત.

ભારતના અન્ય ઘણા Acheulian સ્થળોએ પહોળી ધારવાળા cleavers મોટી સંખ્યામાં મળે છે. પરંતુ ધાનેતીના આ assemblage માં તે ખૂબ ઓછા છે. સંશોધકોના મતે, આ બાબત અહીંના તે સમયના પર્યાવરણ વિશે પણ સંકેત આપી શકે છે. કદાચ કચ્છનું પર્યાવરણ તે સમયે પણ પ્રમાણમાં શુષ્ક ઘાસવાળું મેદાન (arid grassland) હતું અને મોટા જંગલોનો અભાવ હોવાથી લાકડું કાપવા માટેના આવા હથિયારોની જરૂરિયાત ઓછી હતી.

અટલે ધાનેતીની આ શોધ માત્ર જૂના પથ્થરના હથિયારોની વાત નથી.

તે આપણને લગભગ ૧.૨૫ લાખ વર્ષ પહેલાં કચ્છમાં રહેતા માનવો કેવી રીતે કાચો માલ પસંદ કરતા, તેને ક્યાંથી મેળવતા, કેટલું દૂર જતા અને હથિયાર બનાવવાની આખી પ્રક્રિયાનું આયોજન કેવી રીતે કરતા હશે તેની એક ઝલક આપે છે.

કચ્છના ધાનેતી, લાખંડ અથવા ચંદરૂઆ વિસ્તારમાંથી કોઈ અહીં છે?

ખાસ કરીને રામાયા વાંગો, લાખંડની ટેકરીઓ અથવા ત્યાંની lignite અને china clay ની ખાણો વિશે કોઈ સ્થાનિક માહિતી, જૂના ફોટા, સ્થળની મુલાકાતનો અનુભવ અથવા અન્ય માહિતી હોય તો જણાવજો.

u/BaronsofDundee — 8 days ago

નામ સાદુ, પણ resume મોટું: Comfort Foods ની OG ખીચડી નો ઇતિહાસ

ગરીબ ખેડૂતથી લઈને બાદશાહ સુધી ગુજરાતની ખીચડીની પહોંચ બહુ લાંબી છે.

આજે ખીચડી એટલે આપણામાંથી મોટા ભાગના લોકો માટે સીધી સાદી comfort food. બીમાર પડ્યા? ખીચડી. પેટ બગડ્યું? ખીચડી. કંઈ બનાવવાની ઈચ્છા નથી? ખીચડી.

ખીચડીનો ઇતિહાસ ખાસ્સો લાંબો છે. તેનું મૂળ સંસ્કૃત શબ્દ ‘કૃસર’ (Kṛsara) સાથે જોડાય છે, જે ચોખા, દાળ અને તલના મિશ્રણથી બનતી વાનગી માટે વપરાતો હતો. ૧૨મી સદીમાં હેમચંદ્રાચાર્યના લખાણોમાં પણ ઉન્હિયા નામની ખીચડી જેવી જ વાનગીનો ઉલ્લેખ મળે છે.

પછી વાત આવે છે વિદેશી પ્રવાસીઓની.

૧૪મી સદીમાં ગુજરાતની મુલાકાત લેનાર મોરોક્કન પ્રવાસી ઇબ્ન બતુતાએ ‘કિશ્રી’ (Kishri)નો ઉલ્લેખ કર્યો હતો. તેમના વર્ણન મુજબ ચોખા અને મગને બાફીને ઘી સાથે બનાવાતી આ વાનગી સામાન્ય લોકોમાં ખૂબ લોકપ્રિય હતી.

૧૭મી સદી સુધીમાં ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓની નોંધોમાં પણ ખીચડી વારંવાર દેખાય છે. ફ્રેન્ચ પ્રવાસી જાં-બાપ્ટિસ્ટ ટેવર્નિયરે તેને ગુજરાતના ખેડૂતો અને સામાન્ય લોકોના લોકપ્રિય સાંજના ભોજન તરીકે વર્ણવી હતી.

અને પછી આવે છે મસ્ત ભાગ.

સુરત આવેલા અંગ્રેજ પ્રવાસી જ્હોન ઓવિંગ્ટને નોંધ્યું કે ખીચડી એટલી પૌષ્ટિક હતી કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના યુરોપિયન ખલાસીઓ પણ અઠવાડિયામાં એક-બે વખત હોંશે હોંશે ખીચડી ખાતા. અરે, એ લોકો તો ખીચડી ખાવાના દિવસોની આતુરતાથી રાહ જોતા.

એ દિવસોને તેઓ “Bania Days” કહેતા.

પણ ખીચડી માત્ર સામાન્ય લોકોની થાળીમાં જ નહોતી.

અમદાવાદના સ્થાપક સુલતાન અહમદ શાહના રોજિંદા ભોજનમાં પણ ખીચડીનો સમાવેશ થતો હતો. અને મુઘલ બાદશાહ જહાંગીરને તો ગુજરાતની બાજરીની ખીચડી એટલી પસંદ હતી કે પોતાના સંસ્મરણોમાં તેણે તેને ‘લઝીઝાન’ એટલે કે અત્યંત સ્વાદિષ્ટ કહીને વખાણી હતી. ધાર્મિક કારણોસર જ્યારે તે શાકાહાર પાળતો, ત્યારે શાહી રસોડામાં ખાસ બાજરીની ખીચડી બનાવડાવતો.

અને આજે?

સ્વામિનારાયણ અને જલારામ બાપાના મંદિરોના પ્રસાદથી લઈને આપણા ઘરના રોજિંદા જમણ સુધી, ખીચડી આજે પણ એટલી જ લોકપ્રિય છે.

પણ મને ખીચડી ના fan base નો અનુભવ ત્યારે થયો, જ્યારે ધંધાકીય કાર્ય માટે અમારી કંપનીની મુલાકાતે આવેલા એક આફ્રિકન-અમેરિકન મૂળનાં મેડમે જમતા જમતા કહ્યું:

“I love khichdi. I cook khichdi at home whenever I’m feeling low.”

હું તો મનોમન વિચારતો હતો...

આને કોક ગુજરાતી અડી ગયો લાગે છે.

u/BaronsofDundee — 8 days ago

આંસુનાં પણ નામ હતાં - સૈફ પાલનપુરી

u/mfj023 — 7 days ago

TIL (આજે મેં જાણ્યું): 13મી સદી ના ગુજરાત નો કિસ્સો, prank કરવા જતા ઘુઘલો પોતે જ troll થઈ ગયો.

વાત છે વાઘેલા વંશના રાજા વીરધવલના સમયની (ઈ.સ. ૧૨૩૩–૧૨૩૮). એ વખતે વસ્તુપાળ અને તેજપાળ તેમના મહામંત્રીઓ હતા.

તે સમયે પૂર્વ ગુજરાતમાં ગોધરાનો શાસક ઘૂઘુલો આસપાસના વિસ્તારોમાં ભારે ત્રાસ વર્તાવતો હતો. ગુજરાતના બંદરો તરફ જતા વેપારીઓના કાફલાઓ તેના વિસ્તારમાંથી પસાર થાય એટલે સાહેબ એમને લૂંટી લેતા.

આ વાત રાજા વીરધવલ સુધી પહોંચી. રાજાએ ઘૂઘુલાને લૂંટફાટ બંધ કરવાની ચેતવણી આપી.

હવે અહીં ઘુઘલો પણ મોટી note હતો.

રાજાની ચેતવણીના જવાબમાં તેણે સ્ત્રીઓનાં કપડાં અને makeup ના સામાન ની પેટી રાજાને મોકલી દીધી.

જાણે કે રાજા વીરધવલ ને કહેતો હોય: હવે જવાદે વેવલા, ચકલા કોઈ દી બાઝ નો બને.

પોતાના રાજાનું આવું અપમાન થયા પછી મહામંત્રી તેજપાળને સૈન્ય સાથે ગોધરા મોકલવામાં આવ્યા.

તેજપાળે પોતાના કેટલાક સૈનિકોને આગળ મોકલીને ગોધરાની ગાયો-ભેંસો હંકારી લાવવાનું શરૂ કરાવ્યું. ઘૂઘુલાએ વળતો હુમલો કર્યો અને તેજપાળની સેનાના એક ભાગને પાછળ ધકેલી દીધો.

તેજપાળે જાતે જ આગળ વધીને ઘૂઘુલાનો સામનો કર્યો અને આખરે તેને જીવતો પકડી લીધો.

અને હવે આવે છે plot twist.

ઘૂઘુલાએ રાજા વીરધવલનું અપમાન કરવા માટે જે સ્ત્રીઓનાં કપડાં અને લાલી પાવડર મોકલ્યા હતા, એ જ કપડાં હવે ઘૂઘુલાને પહેરાવી તૈયાર કરી, નગર માં ફેરવવામાં આવ્યો. ભાઈ prank કરવા જતા, victim બની ગયો. કદાચ ઘુઘલા ને થયું હશે કે લાકડી વાડ માં જ સારી હતી.

કહેવાય છે કે આ અપમાન સહન ન થતાં ઘૂઘુલાએ પોતાની જીભ કરડીને ત્યાં જ આત્મહત્યા કરી.

આ આખી ઘટનામાં મને નવાઈ એ લાગી કે આજે તેજપાળનું નામ મુખ્યત્વે આબુના દેલવાડા મંદિરો સાથે જોડીને જાણીએ છીએ. પરંતુ એ જ તેજપાળ માત્ર કળા અને સ્થાપત્યના આશ્રયદાતા નહોતા; જરૂર પડ્યે સૈન્યનું નેતૃત્વ કરીને યુદ્ધમાં પણ ઊતરતા હતા.

u/BaronsofDundee — 9 days ago